સિદ્ધાર્થ રાંદેરિયાની નવી ફિલ્મ ‘જીંદગી વન્સ મોર’નું ધમાકેદાર ગીત ‘વધાવો રે’ રિલીઝ: આદિત્ય ગઢવીના અવાજમાં જોવા મળ્યો ગરબાનો રોમાંચ

‘વધાવો રે’ ગીતને અત્યારે ગુજરાતના સિંગિંગ સેન્સેશન અને ‘ખલાસી’ ફેમ ગાયક આદિત્ય ગઢવીએ પોતાના બુલંદ અવાજમાં ગાયું છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 16 Jun 2026 09:23 AM (IST)Updated: Tue, 16 Jun 2026 09:23 AM (IST)
siddharth-randeria-jindagi-once-more-movie-vadhaavo-re-song-out-aditya-gadhvi

Vadhaavo Re song Aditya Gadhvi: ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર સિદ્ધાર્થ રાંદેરિયાના ફેન્સ માટે એક ખૂબ જ ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. તેમની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘જીંદગી વન્સ મોર’ (Jindagi Once More) નું નવું ગીત ‘વધાવો રે’ (Vadhaavo Re) સત્તાવાર રીતે સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ગીત રિલીઝ થતાની સાથે જ ચાહકોમાં ધૂમ મચાવી રહ્યું છે. આ ફિલ્મ ફાધર્સ ડેના ખાસ અવસરે, એટલે કે 19 જૂન 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

બોલિવૂડના સૌથી મોટા પ્રોડક્શન હાઉસ ‘ધર્મા પ્રોડક્શન’નું જોડાણ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે, કારણ કે બોલિવૂડના દિગ્ગજ ફિલ્મમેકર કરણ જોહરનું ‘ધર્મા પ્રોડક્શન્સ’ (Dharma Productions) આ ફિલ્મ સાથે વિતરણ (Distribution) અને પ્રેઝન્ટેશન પાર્ટનર તરીકે જોડાયું છે. કરણ જોહર, અડાર પૂનાવાલા, અપૂર્વ મહેતા અને ભૂમિકા ભંડુલાના સહયોગથી આ ફિલ્મને ખૂબ જ મોટા પાયે સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી રહી છે, જે પ્રાદેશિક સિનેમા માટે ગર્વની વાત છે.

સંગીત અને અવાજનો અદ્ભુત ત્રિવેણી સંગમ

‘વધાવો રે’ ગીતને અત્યારે ગુજરાતના સિંગિંગ સેન્સેશન અને ‘ખલાસી’ ફેમ ગાયક આદિત્ય ગઢવીએ પોતાના બુલંદ અવાજમાં ગાયું છે. આ ગીતનું સંગીત જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર સિદ્ધાર્થ અમિત ભાવસારે આપ્યું છે, જ્યારે તેના હૃદયસ્પર્શી અને ઉત્સાહથી ભરેલા શબ્દો પ્રખ્યાત ગીતકાર નિરેન ભટ્ટ દ્વારા લખવામાં આવ્યા છે. ગીતના મ્યુઝિક અરેન્જમેન્ટમાં સિદ્ધાર્થ ભાવસારની સાથે મીર દેસાઈએ પણ યોગદાન આપ્યું છે. ગીતમાં ઈશાન દાસના ગિટાર સ્ટોક્સ અને ઓમકાર ધૂમલની શરણાઈનો અવાજ તેને વધુ કર્ણપ્રિય બનાવે છે. પપ્પુ અને ગુલાબની જોડીએ રિધમ અને પરક્યુશન સંભાળ્યું છે, જ્યારે તેનું મિક્સિંગ અને માસ્ટરિંગ હનીશ તનેજા દ્વારા કરવામાં આવ્યું છે.

ફિલ્મની સ્ટાર કાસ્ટ અને ડિરેક્શન

વાર્તાકાર ફિલ્મ્સ (Vaartakaar Films) ના બેનર હેઠળ બનેલી આ ફિલ્મના નિર્માતા વાસુ ધોળકિયા છે અને તેનું નિર્દેશન જયમીન દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તા, સ્ક્રીનપ્લે અને સંવાદો દીપ ધોળકિયાએ લખ્યા છે. મુખ્ય કલાકારોની વાત કરીએ તો, ફિલ્મમાં નટસમ્રાટ સિદ્ધાર્થ રાંદેરિયા, પીઢ અભિનેત્રી આરતી પટેલ, દીપ ધોળકિયા અને જ્હાનવી ઢાકન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

કૌટુંબિક લાગણીઓ અને જીવનને એક નવી નજરે જોવાની પ્રેરણા આપતી આ ફિલ્મ આ વર્ષે ફાધર્સ ડે વીકએન્ડ પર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા તૈયાર છે, અને તેનું આ નવું ગીત અત્યારથી જ લોકોની પ્લેલિસ્ટમાં ટોપ પર પહોંચી ગયું છે.