Ahmedabad News: દેશની રાજધાની દિલ્હીમાં સર્જાયેલી અગ્નિકાંડની ઘટના બાદ અમદાવાદ ફાયર બ્રિગેડ અને એસ્ટેટ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. શહેરના પશ્ચિમ વિસ્તારોમાં આવેલા થલતેજ, વસ્ત્રાપુર અને બોડકદેવની 6 હોટેલોને વહીવટી તંત્ર દ્વારા સીલ કરી દેવાઈ છે, ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરવા બદલ અગાઉ આપેલી સાત દિવસની નોટિસની સમય મર્યાદા પૂર્ણ થતાં આકરા પગલાં લેવામાં આવ્યા છે.
રસોડામાં ગેસ લીકેજ અને ફાયર સિસ્ટમની ખામીઓ મળી આવી
અમદાવાદ ફાયર બ્રિગેડના ડિવિઝનલ ફાયર ઓફિસકર એસ.બી.જાડેજાના જણાવ્યા મુજબ, ઉત્તર પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ અને ફાયર બ્રિગેડ દ્વારા હોટેલ, રેસ્ટોરન્ટ અને ગેસ્ટ હાઉસમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતુ્. તપાસ દરમિયાન સુરક્ષામાં ગંભીર બેદરકારીઓ મળી આવી હતી.
- કિચનમાં ખામી: રસોડામાં હોવો જરુરી 'ફાયર સસ્પેન્શન સિસ્ટમ' ગેરહાજર હતી.
- ગેસ લીકેજ: કેટલીક જગ્યાએ LPG ગેસ પાઇપલાઇનમાં લીકેજ જોવા મળ્યું. જે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે તેમ હતું.
- બંધ સિસ્ટમ: હોટેલોમાં લગાવેલી ફાયર સેફ્ટી સિસ્ટમ યોગ્ય રીતે કામ નહોતી કરતી.
સીલ કરાયેલી હોટેલોનું લિસ્ટ
તંત્ર દ્વારા આપવામાં આવેલી 7 દિવસની મર્યાદામાં પણ હોટેલ સંચાલકોએ ખામીઓ દૂર ન કરતાં નીચેની હોટેલોને સીલ કરવામાં આવી છે:
- હોટેલ લેક ઇન, ગુરુકુલ રોડ, વસ્ત્રાપુર
- હોટેલ ગ્રાન્ટ ઇન, બોડકદેવ વોર્ડ
- હોટેલ કેપટાઉન, થલતેજ વોર્ડ
- હોટેલ 4 ફૂડ, થલતેજ વોર્ડ
- હોટેલ રુદ્રા, થલતેજ વોર્ડ, ન્યુ યોર્ક ટાવર, SG હાઇવે
- અપોલો હોટેલ, બોડકદેવ વોર્ડ
'ફાયર સેફ અમદાવાદ' અભિયાન: તંત્રની કડક ચેતવણી
"જાહેર જનતાની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં નહીં આવે. તમામ કોમર્શિયલ બિલ્ડિંગો, હોટેલો અને બેન્ક્વેટ હોલોએ નેશનલ બિલ્ડિંગ કોડ (NBC Part-4) અને ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટનું કડક પાલન કરવાનું રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે સીલિંગ અને કાયદેસરની દંડાત્મક કાર્યવાહી ચાલુ રહેશે." અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન.
