Ravi Shastri on Virat Kohli: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ વર્ષો પછી સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના વર્તન વિશે ચાલી રહેલી ચર્ચાઓ અંગે મોટો ખુલાસો કર્યો છે. જ્યારે રવિ શાસ્ત્રી ટીમ ઈન્ડિયાના કોચ હતા અને વિરાટ કોહલી કેપ્ટન, ત્યારે બંને વચ્ચે શાનદાર તાલમેલ જોવા મળતો. ટીમે તે સમયગાળા દરમિયાન અનેક સફળતા મેળવી હતી.
રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીને કહ્યો 'ઘમંડી'
વિરાટ કોહલી મેદાન પર તેના અત્યંત આક્રમક વલણ માટે જાણીતો છે, અને ઘણીવાર તે મેદાન પર ગુસ્સે થઈને ઝગડા પર ઉતરી આવે છે. તેના આ સ્વભાવને કારણે લોકો તેને 'ઘમંડી' પણ કહે છે. આ મુદ્દે મૌન તોડતા રવિ શાસ્ત્રીએ સ્વીકાર્યું છે કે કોહલી ઘમંડી હોઈ શકે છે, પરંતુ તેનું આ વર્તન માત્ર ક્રિકેટના મેદાન પૂરતું જ સીમિત છે.
રવિ શાસ્ત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, "ઘમંડી, બગડેલો સાહેબજાદો (મોટો માણસ)... ક્યાંક ને ક્યાંક આ વાત સાચી હોઈ શકે છે, પરંતુ માત્ર મેદાન પર જ." તેમણે વધુમાં ઉમેર્યું કે, મેદાનની બહાર કોહલી એકદમ વિપરીત માણસ છે. કદાચ તેનામાં મેચ પૂરી થયા બાદ પોતાની જાતને બદલી નાખવાની અદભુત ક્ષમતા રહેલી છે.
"મને એવા લોકો ખૂબ પસંદ છે જેઓ મેદાન પર 'સ્વિચ ઓન' અને મેદાનની બહાર તરત જ 'સ્વિચ ઓફ' થઈ જવાની ક્ષમતા ધરાવતા હોય." -- રવિ શાસ્ત્રી
ઈજાના કારણે ODI સીરિઝમાંથી બહાર
હાલમાં વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી ત્રણ મેચની વન-ડે સિરીઝમાં ટીમ ઇન્ડિયન ટીમનો હિસ્સો નથી. સ્નાયુઓમાં થયેલી ઈજાના કારણે તે ટીમમાંથી બહાર છે. નોંધનીય છે કે, વિરાટ કોહલીને આ ઈજા IPL-2026 ની ફાઇનલ મેચ દરમિયાન થઈ હતી. આ ફાઇનલમાં વિરાટ કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને જીત અપાવી, જે આ ટીમનું સતત બીજું ટાઇટલ હતું.
આ પણ વાંચો: દીપ્તિ શર્માની 'ફિરકી'નો જાદુ, ઝુલન ગોસ્વામીના મહારેકોર્ડની બરાબરી કરી બની દુનિયાની દિગ્ગજ બોલર
આગામી વનડે વર્લ્ડ કપ પર રહેશે નજર
વિરાટ કોહલીની નજર હવે સંપૂર્ણપણે આવતા વર્ષે યોજાનારા વનડે વર્લ્ડ કપ 2027 પર ટકેલી છે. જોકે, તેના વર્લ્ડ કપ રમવા અંગે કેટલીક શંકાઓ સેવાઈ રહી છે, પરંતુ હાલમાં તે જે શાનદાર ફોર્મમાં છે તેને જોતા તેને ટીમમાંથી બહાર કાઢવો જરાય સરળ રહેશે નહીં.
