ભારત 'એ' ટીમ મુશ્કેલીમાં; વૈભવ સૂર્યવંશીની ગેરવર્તણૂક અને તિલક વર્માનો અમ્પાયર સાથે વિવાદ, થશે મોટી કાર્યવાહી?

ભારત 'એ' અને શ્રીલંકા 'એ' વચ્ચેની મેચમાં મોટો વિવાદ. વૈભવ સૂર્યવંશીએ ખેલાડીને ધક્કો માર્યો, તિલક વર્મા અમ્પાયર સાથે ઉતાર્યા મેદાનમાં. શું લાગશે પ્રતિબંધ? જાણો વિગતવાર.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 15 Jun 2026 11:49 PM (IST)Updated: Mon, 15 Jun 2026 11:57 PM (IST)
vaibhav-sooryavanshi-tilak-varma-controversy-india-a-sri-lanka-a

Team India Controversy: શ્રીલંકામાં રમાઈ રહેલી ટ્રાય સિરીઝમાં ભારત 'એ' ટીમ માટે મુશ્કેલીઓનો અંત આવતો નથી. શ્રીલંકા 'એ' સામે મળેલી કારમી હાર બાદ હવે ટીમ શિસ્તભંગના ગંભીર આરોપોમાં ઘેરાઈ છે. માત્ર મેદાન પરનું પ્રદર્શન જ નહીં, પરંતુ ભારતીય ખેલાડીઓનું વર્તન પણ હાલમાં ચર્ચાનો વિષય બન્યું છે. ખાસ કરીને 15 વર્ષીય સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી અને કેપ્ટન તિલક વર્માના વર્તનને લઈને મોટી કાર્યવાહીના સંકેતો મળી રહ્યા છે.

વૈભવ સૂર્યવંશી પર કેમ લાગી શકે છે પ્રતિબંધ?

પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતા વૈભવ સૂર્યવંશી શ્રીલંકા સામેની મેચમાં ઘર્ષણના કારણે વિવાદમાં આવ્યો છે. મેચ પૂરી થયા બાદ શ્રીલંકાના ખેલાડીઓ જીતનો ઉત્સવ મનાવી રહ્યા હતા, જે દરમિયાન તેઓ વૈભવની સામે જઈને આક્રમક રીતે ઉજવણી કરતા જોવા મળ્યા હતા. આ બાબતે વૈભવનો ગુસ્સો ભડક્યો અને તેણે શ્રીલંકાના એક ખેલાડીને ધક્કો મારી દીધો. જવાબમાં સામેની ટીમના ખેલાડીએ પણ ધક્કો મારતા મામલો ગરમાયો હતો. જોકે, અન્ય ખેલાડીઓએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો.

ICCના નિયમો મુજબ, મેદાન પર ખેલાડીઓ વચ્ચે શારીરિક સંપર્ક કરવો ગંભીર ગુનો માનવામાં આવે છે. આ બાબતે ચાર સ્તર (Level) નક્કી કરવામાં આવ્યા છે:

  • લેવલ 1: સામાન્ય ધક્કામુક્કી માટે ચેતવણી, મેચ ફીમાં કાપ અને એક ડીમેરિટ પોઈન્ટ.
  • લેવલ 2: જો જાણીજોઈને ધક્કો મારવામાં આવે, તો મેચ ફીમાં કાપ અને 2 થી 4 ડીમેરિટ પોઈન્ટ મળી શકે છે, જેના કારણે 1-2 મેચનો પ્રતિબંધ પણ લાગી શકે છે.
  • લેવલ 3 અને 4: જો કોઈ ખેલાડીને ઈજા પહોંચે, તો આ હિંસા ગણાય છે, જેના માટે લાંબા ગાળાના પ્રતિબંધની જોગવાઈ છે.

સદભાગ્યે આ કિસ્સામાં કોઈને ઈજા પહોંચી નથી, પરંતુ વૈભવની ઉંમર અને મેદાન પરના વર્તનને જોતા ICC કોઈ કડક નિર્ણય લેશે કે કેમ તે જોવું રહ્યું.

કેપ્ટન તિલક વર્મા પણ અમ્પાયરો સાથે બાખડ્યો

બીજી તરફ ટીમ ઈન્ડિયાના કેપ્ટન તિલક વર્મા પણ અમ્પાયરો સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. મેચ ટાઈ થયા બાદ નિર્ધારિત સમય પૂરો થઈ જતા અમ્પાયરો સુપર ઓવર કરાવવાના પક્ષમાં નહોતા, પરંતુ તિલક વર્મા અડગ હતો. એટલું જ નહીં, સુપર ઓવર દરમિયાન અંતિમ બોલ પર નો-બોલના નિર્ણયને લઈને પણ તિલક વર્માએ મેદાન પર અમ્પાયરો સાથે તીખી તકરાર કરી હતી. એક કેપ્ટન તરીકે તેમનું આ વલણ ટીમને નુકસાન પહોંચાડી શકે છે.

ભારત 'એ' માટે ફાઈનલની રાહ કપરી

મેદાનની બહારના વિવાદોની સાથે મેદાન પરનું પ્રદર્શન પણ ચિંતાજનક છે. અફઘાનિસ્તાન બાદ શ્રીલંકા 'એ' સામે પણ ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. ટીમે અત્યાર સુધી રમેલી 3 માંથી 2 મેચ ગુમાવી દીધી છે. હવે ફાઈનલની રેસમાં ટકી રહેવા માટે ભારત માટે અફઘાનિસ્તાન સામેની આગામી મેચ (17 જૂન) 'કરો યા મરો' સમાન બની ગઈ છે.