સાળંગપુરધામમાં ભક્તિનો ઉમંગ: વાનરસેના અને પ્રકૃતિના થીમ સાથે શ્રીકષ્ટભંજનદેવને દિવ્ય અન્નકૂટ ધરાવાયો

બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં પવિત્ર 'અધિક જેઠ માસ' એટલે કે પુરુષોત્તમ માસની અત્યંત ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Mon, 01 Jun 2026 11:36 AM (IST)Updated: Mon, 01 Jun 2026 11:37 AM (IST)
kashtbhanjandev-temple-salangpur-botad-darshan-1-june-2026

Kashtbhanjandev Temple Salangpur: બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં પવિત્ર 'અધિક જેઠ માસ' એટલે કે પુરુષોત્તમ માસની અત્યંત ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત આ યાત્રાધામમાં દાદાના દર્શન માટે શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે. મંદિર પ્રશાસન દ્વારા ભક્તો માટે દર્શન, પૂજન અને પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં મંદિર પરિસરની ઉડીને આખે વળગે તેવી સ્વચ્છતા મુખ્ય આકર્ષણ બની છે.

naidunia_image

ગર્ભગૃહમાં કુદરતી વનરાજી અને વાનરસેનાનો શણગાર

શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી 01-06-2026, સોમવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને અત્યંત મનોહર અને કલરફૂલ વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ વિશેષ પ્રસંગે મંદિરના ગર્ભગૃહને પ્રકૃતિ અને વન્યજીવોના થીમ પર સજાવવામાં આવ્યું હતું. દાદાના મુખ્ય સિંહાસનની આસપાસ રામભક્ત વાનરસેનાની હસતી પ્રતિકૃતિઓ ગોઠવવામાં આવી હતી. આ ઉપરાંત ખિસકોલી, રંગબેરંગી મશરૂમ અને લીલાછમ પર્ણો દ્વારા આખા ગર્ભગૃહને એક સુંદર જંગલનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું, જે ભક્તો માટે કુતૂહલ અને આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

naidunia_image

ભવ્ય અન્નકૂટ અને દિવ્ય આરતીનું આયોજન

પવિત્ર અધિક માસ નિમિત્તે દાદાને વિવિધ પ્રકારની મીઠાઈઓ જેવી કે કાજુ કતરી, પેંડા, બરફી, લાડુ અને ડ્રાયફ્રૂટ્સનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. દિવસની શરૂઆત સવારે 05:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલી મંગળા આરતીથી થઈ હતી, જેમાં ભાગ લેવા માટે લોકોની ભારે ભીડ ઉમટી હતી. આ ઉપરાંત સાંજે 05:00 થી 07:00 કલાક દરમિયાન રાજોપચાર પૂજનનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. હજારો શ્રદ્ધાળુઓએ એક સાથે બેસીને પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

naidunia_image

પરિવારની શાંતિ માટે હનુમાન ચાલીસા યજ્ઞ

મંદિરના પટાંગણમાં પારિવારિક શાંતિ અને સુખાકારીના હેતુથી શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞ 17 May થી 15 June 2026 સુધી સતત ચાલશે, જેનો સમય સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6:30 રાખવામાં આવ્યો છે. ભક્તિસભર માહોલમાં હજારો હરિભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન માધ્યમથી દાદાના આ દિવ્ય સ્વરૂપના દર્શન કર્યા હતા. સાળંગપુર મંદિરની વ્યવસ્થા અને ભક્તિમય વાતાવરણે ફરી એકવાર લાખો લોકોના દિલ જીતી લીધા છે.

naidunia_image