CJP Controversy: દેશભરમાં હાલમાં 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) નામની એક નવી રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. ખાસ કરીને યુવા પેઢી (Gen-Z) દ્વારા શરૂ કરાયેલી આ વ્યંગાત્મક પાર્ટીને લઈને ગુજરાતના રાજકીય અને સામાજિક વર્તુળોમાં પણ તીખી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ અને જાણીતા કથાકાર બાબા બાગેશ્વર ઉર્ફે ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ મુદ્દે પોતાના નિવેદનો આપતા સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
શું કહ્યું ધારાસભ્ય હાર્દિક પટેલે?
આ પણ વાંચો
અંબાજી ખાતે પાટીદાર સમાજના એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે 'કોકરોચ જનતા પાર્ટી' પર પ્રહાર કરતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે- કોકરોચ એ કોઈ પાર્ટી નથી. કોકરોચ ટોયલેટમાંથી નીકળે છે અને તેમને ખતમ કરવા માટે માત્ર એક હિટ સ્પ્રે જ કાફી છે. હાર્દિક પટેલનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને લોકો દ્વારા તેના પર મિશ્ર પ્રતિસાદ આપવામાં આવી રહ્યો છે.
બાબા બાગેશ્વરની અપીલ
બીજી તરફ, રાજકોટમાં યોજાયેલી પોતાની ત્રિ-દિવસીય કથા દરમિયાન બાબા બાગેશ્વર ઉર્ફે ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ આ મુદ્દે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું. તેમણે કોઈ પણ પક્ષનું નામ લીધા વિના જણાવ્યું હતું કે- હું કોઈ રાજયોગી નથી, હું તો ધર્મવક્તા છું. દેશમાં કોઈપણ પ્રકારની અશાંતિ ન ફેલાવી જોઈએ. કોઈપણ રાજકીય પાર્ટી હોય, નવી કે જૂની, તેમાં હિંસાને કોઈ સ્થાન ન હોવું જોઈએ. રાજકોટ મુલાકાત દરમિયાન તેમણે દેશમાં વધી રહેલા સામાજિક દૂષણો પર પણ ચિંતા વ્યક્ત કરી હતી.
શું છે કોકરોચ જનતા પાર્ટીનો વિવાદ?
નોંધનીય છે કે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના બેરોજગાર યુવાનો પરના નિવેદન બાદ અભિજીત દીપકે નામના યુવકે 'કોકરોચ જનતા પાર્ટી'ની સ્થાપના કરી હતી. આ પાર્ટી દ્વારા હાલમાં દેશની શિક્ષણ વ્યવસ્થા, CBSE પરીક્ષામાં કથિત અનિયમિતતાઓ અને NEET-UG પરીક્ષાના વિવાદને લઈને આક્રમક આંદોલનો કરવામાં આવી રહ્યા છે. દિલ્હીના જંતર-મંતર પર યુવાનોએ પ્રદર્શન કરી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી હતી. હાલ આ મામલે કાયદાકીય ગૂંચવણો પણ ઉભી થઈ છે અને સંગઠન સામે ફરિયાદ પણ નોંધાઈ છે. ગુજરાતમાં આ અંગેના નેતાઓના નિવેદનોએ વિવાદમાં ઘી હોમવાનું કામ કર્યું છે.
