Surat News: વિકાસ કામ માટે તબક્કાવાર રસ્તા બંધ કરવામાં આવે, ધારાસભ્ય કુમાર કાનાણીનો સુરત સીપીને પત્ર

જે કઈ રસ્તા બંધ કરવામાં આવે તેમાં લોકોને પડતી મુશ્કેલી અને હાડમારી નો પણ વિચાર કરી લોકો ઓછામાં ઓછા હેરાન થાય તે ધ્યાને રાખી વિકાસના કામો થાય.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 12 Mar 2025 02:58 PM (IST)Updated: Wed, 12 Mar 2025 02:58 PM (IST)
mla-kanani-writes-to-surat-cp-over-road-closure
HIGHLIGHTS
  • લોકોને ટ્રાફિકનો ત્રાસના થાય તે રીતે તબક્કાવાર કામોનુ આયોજન કરવું જોઈએ

Surat News: સુરત શહેરમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત પોલીસ કમિશ્નરને પત્ર લખીને રજૂઆત કરી છે. પત્રમાં તેઓએ સુરત શહેરમાં વરાછા વિસ્તારમાં વિકાસના કામના નામે જાહેરનામું બહાર પાડી રસ્તાઓ બંધ કરવા બાબતે રજૂઆત કરી છે.

ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્રમાં જણાવ્યું હતું કે વરાછા વિસ્તારમાં વિકાસના કામો અમોને માન્ય છે. પરંતુ બધા રોડ બંધ કરી ભયંકર ટ્રાફિકની સમસ્યાથી લોકોને પારાવાર મુશ્કેલી ઉભી કરી વિકાસ કરવો કેટલે અંશે વ્યાજબી ગણાય ? હાલમાં છેલ્લા 2 વર્ષથી વરાછા રોડ પર મેટ્રોની કામગીરી ચાલુ હોવાના લીધે સુરત રેલ્વે સ્ટેશન થી બરોડા પ્રિસ્ટેજ સુધીનો લંબે હનુમાન રોડ બંધ છે. તેમજ રામનગર ચાર રસ્તા થી સીમાડા નાકા કેનાલ રોડ મેટ્રોની કામગીરીને લીધે અમુક ભાગનો રોડ ચાલુ છે. સાથે વરાછા મેઈન રોડ પર છેલ્લા 2 માસથી ડ્રેનેજની કામગીરી ચાલુ હોવાના લીધે વરાછા પોલીસ સ્ટેશન થી લઈ હીરાબાગ સુધી બંધ કરવાનું જાહેરનામું અગાઉ બહાર પાડવામાં આવેલ છે.

હાલમાં વરાછા પોલીસ સ્ટેશન થી મોહનની ચાલ સુધી આ રોડ સદંતર બંધ છે. વલ્લભાચાર્ય રોડ પર બ્રિજના રેમ્પની કામગીરીને કારણે પી.પી. સવાણી સ્કુલથી હીરાબાગ સુધી રસ્તાનું ડાયવર્ઝન આપેલ છે. આ સિવાય પાણીની મેઈન લાઈનો લિકેજને કારણે વરાછા વિસ્તારમાં અવાર-નવાર આડેધડ ખોદકામો પણ થતા રહે છે. અને તા. ૧૬/૦૨/૨૦૨૫ ના રોજ વરાછા સેન્ટ્રલ વેર હાઉસ થી લઇ પોદાર સુધીનો રસ્તો ૬ મહિના માટે બંધ કરવાનું નવું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.

હાલમાં એફિલ ટાવર અને પોદાર આર્કેડ પાસે જે ટ્રાફિક પોલીસ ઉભી રહે છે તે લોકોને ટ્રાફિક નિયમન અને રસ્તાની ગાઈડ લાઈન માટે છે. પરંતુ તેને બદલે તેઓ હેલ્મેટના દંડ ઉઘરાવવામાં વ્યસ્ત રહે છે. અને ટ્રાફિકની સમસ્યા ઉભી કરે છે. તેમજ પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો બિલકુલ બંધ કરી જાહેરનામાંનો અમલ કરવો જોઈએ.

આમ ઉપરોક્ત બાબતમાં જે કઈ રસ્તા બંધ કરવામાં આવે તેમાં લોકોને પડતી મુશ્કેલી અને હાડમારી નો પણ વિચાર કરી લોકો ઓછામાં ઓછા હેરાન થાય તે ધ્યાને રાખી વિકાસના કામો થાય પણ લોકોને ટ્રાફિકનો ત્રાસના થાય તે રીતે તબક્કાવાર કામોનુ આયોજન કરવું જોઈએ અને તબક્કાવાર રોડ બંધ કરવા જોઈએ તેવી મારી માંગણી છે.