Vadodara Road Accident News: વડોદરા નજીક જરોદ રોડ પર આજે વહેલી સવારે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જરોદ-વડોદરા રોડ પર આવેલા કોટંબી ગામ પાસે હાઇવે પર એક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ટક્કર થઈ હતી. આ બનાવમાં અત્યાર સુધીમાં સાત જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે બસમાં સવાર અન્ય 27 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. મળતી વિગત અનુસાર, અકસ્માતગ્રસ્ત બાલાજી ટ્રાવેલ્સની લક્ઝરી બસ રાજસ્થાનના બાસવાડાથી સુરત તરફ જઈ રહી હતી.
ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી લક્ઝરી બસ
મળતી પ્રાથમિક માહિતી અનુસાર, આ ગોઝારો અકસ્માત વહેલી સવારના સુમારે સર્જાયો હતો. બાલાજી ટ્રાવેલ્સની લક્ઝરી બસ રાજસ્થાનના બાસવાડાથી સુરત તરફ જઈ રહી હતી, આ દરમિયાન અચાનક આગળ જઈ રહેલી ટ્રકના પાછળના ભાગે બસ ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
STORY | 6 killed, 20 injured as bus crashes into truck on highway in Vadodara
— Press Trust of India (@PTI_News) June 17, 2026
Six persons were killed and nearly 20 others injured after a private bus rammed into a parked truck on a highway in Gujarat's Vadodara district in the early hours of Wednesday, police said.
READ:… pic.twitter.com/XJDhxgd08V
મૃતકોના નામ
- વિનોદ નરેશ ડામોર (ઉં. 30 વર્ષ)
- મુકેશ જીવાજી ડિંડોર (ઉં. 34 વર્ષ)
- પ્રીત હિતેશ ભાટિયા (ઉં. 9 વર્ષ)
- મહેન્દ્રકુમાર ભોગીલાલ પંડ્યા (ઉં. 68 વર્ષ)
- હરજીંગ કટારા (ઉં. 30 વર્ષ)
- પિંકી ભાટિયા
- અજાણ્યા પુરુષની ઓળખ બાકી
ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલ ખસેડાયા
આ અકસ્માતમાં લક્ઝરી બસમાં સવાર અન્ય 27 જેટલા મુસાફરોને પણ નાની-મોટી ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે વડોદરાની જાણીતી સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સઘન સારવાર ચાલી રહી છે.
NDRF અને પોલીસ દ્વારા બચાવ કામગીરી
અકસ્માતની ગંભીરતા અને ફસાયેલા મુસાફરોને જોતા બચાવ કામગીરી માટે તાત્કાલિક NDRF ટીમને બોલાવવામાં આવી હતી. NDRF જવાનો દ્વારા બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી. જેમાં ભારે જહેમત બાદ બસના પતરાં કાપીને ઈજાગ્રસ્તો અને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, ઘટનાની જાણ થતાં જરોદ પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોનો કબજો મેળવી તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે, અને હાઈવે પર ટ્રાફિક જામ ન થાય તે માટેની કામગીરી પણ શરૂ કરી છે. અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
