PM Modi G7 Summit France 2026: ફ્રાન્સના સુંદર બિયારિટ્ઝ રિસોર્ટમાં યોજાયેલી હાઈ-પ્રોફાઈલ G7 સમિટમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઓમાનના દરિયાકાંઠે તાજેતરમાં જ એક વાણિજ્યિક જહાજ પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના કરુણ મોતના થોડા જ દિવસો બાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક મંચ પર આ મુદ્દો પ્રખરતાથી ઉઠાવ્યો છે. મંગળવારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત વિશ્વના અગ્રણી નેતાઓની ઉપસ્થિતિમાં પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, કોઈપણ વૈશ્વિક યુદ્ધ કે વિવાદનો કાયમી ઉકેલ ક્યારેય હિંસાથી આવી શકતો નથી, પરંતુ તે માત્ર પરસ્પર વાતચીત, રાજદ્વારી સંબંધો અને આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા જ શક્ય છે. આ સાથે જ તેમણે તમામ દેશોને વૈશ્વિક દરિયાઈ માર્ગો અને ખલાસીઓની સલામતી સુનિશ્ચિત કરવા આહવાન કર્યું હતું.
Shared my thoughts at the Outreach Session on ‘Forging New Partnerships and Rebuilding International Solidarity’ at the G7 Summit in Evian. In a world that is getting more interconnected and interdependent than ever before, this subject becomes all the more vital. But,… pic.twitter.com/NjNddWGtFF
— Narendra Modi (@narendramodi) June 16, 2026
ટ્રમ્પની બાજુમાં બેસીને પીએમ મોદીએ આપ્યો મજબૂત સંદેશ
આ પણ વાંચો
G7 સમિટના "નવી ભાગીદારીનું નિર્માણ અને આંતરરાષ્ટ્રીય એકતા પુનઃસ્થાપિત કરવી" વિષય પર આધારિત વિશેષ સત્ર દરમિયાન પીએમ મોદીએ આ ટિપ્પણી કરી હતી. આ સત્રમાં ભારત ઉપરાંત બ્રાઝિલ, ઇજિપ્ત, કેન્યા અને દક્ષિણ કોરિયા જેવા મિત્ર દેશોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની બિલકુલ બાજુમાં બેસીને વડાપ્રધાને દ્રઢતાપૂર્વક કહ્યું, "વિશ્વના તમામ દેશોને સમુદ્રી માર્ગો દ્વારા આપસમાં જોડતા ખલાસીઓની રક્ષા કરવાની સામૂહિક જવાબદારી આપણા બધાની છે. આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે વૈશ્વિક દરિયાઈ માર્ગો સંપૂર્ણપણે સુરક્ષિત રહે જેથી ખલાસીઓ કોઈપણ પ્રકારના ભય વિના પોતાની ફરજ બજાવી શકે. ભારત આ ગંભીર મુદ્દે તમામ વૈશ્વિક ભાગીદારો સાથે મળીને કામ કરવા કટિબદ્ધ છે."
પશ્ચિમ એશિયામાં સર્જાયેલા તણાવ અને નુકસાન પર ચિંતા વ્યક્ત કરી
વડાપ્રધાન મોદીએ પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં શાંતિ સ્થાપવા માટે થઈ રહેલા વર્તમાન પ્રયાસોનું સ્વાગત કર્યું હતું. તેમણે ચિંતા વ્યક્ત કરતાં નોંધ્યું કે આ પ્રદેશમાં ચાલી રહેલા તણાવને કારણે ઘણા નિર્દોષ ભારતીય નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને મિત્ર રાષ્ટ્રોને પણ જાનમાલનું ભારે નુકસાન વેઠવું પડ્યું છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) દ્વારા થતા દરિયાઈ વેપારમાં અવરોધો ઊભા થવાને કારણે વૈશ્વિક અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. પીએમ મોદીએ ઉમેર્યું કે સહિયારા વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે માત્ર પરસ્પર વિશ્વાસ આધારિત ભાગીદારી અને વૈશ્વિક એકતા જ એકમાત્ર અસરકારક માર્ગ છે.
અમેરિકી હુમલા બાદ પીએમ મોદીનું આ નિવેદન ઘણું મહત્વનું
ઉલ્લેખનીય છે કે, G7 સમિટ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે યોજાનારી દ્વિપક્ષીય મુલાકાતના બરાબર એક દિવસ પહેલા પીએમ મોદીનું આ નિવેદન રાજદ્વારી દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ગયા અઠવાડિયે જ ઓમાનના દરિયાકાંઠે યુએસ નાકાબંધીથી બચવાનો આરોપ લગાવીને અમેરિકી સૈન્ય વિમાને ટેન્કર 'MT સેટેબેલો' સહિત ત્રણ વ્યાપારી જહાજોને નિશાન બનાવ્યા હતા, જેમાં ૬૫ થી વધુ ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા અને આ હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓએ જીવ ગુમાવ્યો હતો. આ તંગદિલી વચ્ચે પીએમ મોદીએ ટ્રમ્પની હાજરીમાં જ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવીને ભારતનું વલણ સ્પષ્ટ કરી દીધું છે.
